“10 વર્ષનો બાળક અને 48 વર્ષની મહિલા ધાબેથી પડી જતા ઇજા: 143 પક્ષીઓ ઘાયલ : 7 પક્ષીઓના મોત : ઘાયલ પક્ષીઓને રેસ્કયુ કરાયા” અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર રાજયમાં ઉતરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ ઉજવણી દરમ્યાન અનેક લોકો ઘવાયા હતા તો અમુક વ્યકિતઓ પતંગની દોરીથી ઇજા થતા મોત થયાના બનાવો નોંધાયા છે. અમદાવાદ અને રાજકોટમાં પતંગની દોરીથી ગળુ કપાતા મોત થયા હતા.અમદાવાદમાં ગઇકાલે ઉતરાયણ તહેવારમાં પતંગોત્સવ દરમ્યાન કોઇક સ્થળે પતંગની દોરીથી ઇજા તો કોઇક સ્થળે ગળુ કપાવવાના બનાવ સહીત ર07 બનાવોમાં 108ની ઇમરજન્સી સર્વીસે તાત્કાલીક સારવાર આપી હતી. અમદાવાદ ચાણકયપુરી વીસ્તારમાં આવેલા પરશોતમનગરમાં 10 વર્ષનો બાળક પતંગ ઉડાડતા ધાબા પરથી નીચે પડતા હાથે ફેકચર થયુ હતુ તેને સોલા હોસ્પીટલમાં ખસેડાયો હતો. નરોડા વીસ્તારમાં માયાબેન પરમાર નામના 48 વર્ષીય મહીલા પણ ધાબેથી પડી જતા સારવારમાં ખસેડાયા હતા. પંચમહાલ જીલ્લાના સંતરામપુરના નાની રેલ ગામના બાઇક ચાલકના ગળામાં દોરી ભરાતા ગળુ કપાતા મોત થયુ હતુ. જયારે અબોલ જીવો પણ ભોગ બન્યા હતા. 143 પક્ષીઓ ઘાયલ થતા રેસ્કયુ કરી વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી.